સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોમાં સમાવિષ્ટ ૧૪૬ જ્ઞાતિઓમાં ૨૮ વિચરતી અને ૧૨ વિમુક્ત જાતિઓ મળી કુલ ૪૦ જાતિઓ અતિ પછાત અને નબળી જાતિઓ છે. વિચરતી જાતિઓ રખડતું ભટકતુ જીવન ગુજારવાના કારણે તેમજ વિમુક્ત જાતિઓનું બ્રિટિશ સરકારે ૧૮૭૧માં ગુનેગાર જાતિઓ જાહેર કરતાં અને ત્યારબાદ તેમને આઝાદ ભારત સરકારે સન ૧૯૫૨માં વિમુક્ત જાહેર કરતાં તેમની પણ રખડતી ભટકતી જીવન શૈલીને કારણે તેઓ સામાજીક અને શૈક્ષણિક અને આર્થિક રીતે વધારે પછાત છે.
આ જાતિઓના વિકાસ માટે રાજ્ય સરકારે છેલ્લા ૧૨ વર્ષમાં સક્રિય પહેલ કરીને વિશેષ ધ્યાન આપીને તેમના સર્વાંગી વિકાસ માટે ઘણા પગલા લીધા છે. તેમાં ખાસ કરીને ગૃહ નિર્માણ ક્ષેત્રે ઘણા ઘર બનાવી આપેલ છે તેમજ સરકારી મફત પ્લોટ પણ આપેલ છે. તેઓના વિકાસ માટે અલગથી બજેટ જોગવાઈ પણ કરવામાં આવે છે. તેમ છતાં આ સમૂહો માટે વિશેષ ધ્યાન અપાય અને તેમના સર્વાંગી વિકાસ થાય તે માટે રાજ્યની ૪૦ વિચરતી અને વિમુક્ત જાતિ માટે ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમની રચના સરકારશ્રીના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તા.૦૨/૦૨/૨૦૧૫ના ઠરાવથી કરવામાં આવેલ છે.