ખાસ અંગભૂત યોજનાનો ખ્યાલ અનુસૂચિત જાતિઓના વિકાસ અને પછાત વર્ગોના કલ્યાણ સેકટર હેઠળ માત્ર યોજનાઓ ઘડવાથી સિધ્ધ ન થઇ શકે પરંતુ તે માટે બહુક્ષેત્રિય , બહુવિભાગીય અભિગમ અપનાવવાની જરૂરીયાત છે. તેનો વિચાર સ્વ. વડા પ્રધાન શ્રીમતિ ઇન્દિરા ગાંધીએ મુખ્ય મંત્રીશ્રીઓની પરિષદને સંબોધતી વખતે સને ૧૯૭૫માં વહેતો મૂક્યો હતો. અને તેમણે કહયું હતુ કે રાજ્યમાં સામાન્ય પછાત વર્ગ પ્રત્યે બધા જ વિકાસ ખાતાં પુરેપુરા જાગ્રુત નહીં થાય ત્યાં સુધી રાજ્યનું કોઇ એક ખાતું તેમાં ઝાઝી પ્રગતિ સાધી નહીં શકે, આમ ખાસ અંગભૂત યોજના એ પંચવર્ષિય યોજના અંદરની યોજના છે. અને તેમાં દરેક વિભાગ અનુસૂચિત જાતિઓના વિકાસ માટે જરૂરીયાત આધારિત કાર્યક્રમો ઘડે છે. આનુષાંગિક યોજનાઓ માટે ખાસ નાંણાકીય જોગવાઇઓ અને ભૌતિક લક્ષ્યાંકો નિયત કરવામાં આવે છે. અને તેના વિભાગીય કાર્યક્રમોમાં તેનો સમાવેશ કરે છે. આમ જુદા જુદા વિભાગોની ખાસ જોગવાઇ અને લક્ષ્યાંકો એકત્રિત કરીને રાજ્યની અનુસૂચિત જાતિ પેટા યોજના તરીકે રજુ કરવામાં આવે છે. તદ્ ઉપરાંત તા.૧૯-૪-૧૯૮૦ ના રોજ મળેલ આયોજન પંચની બેઠકમાં નકકી કરવામાં આવ્યુ હતુ કે છઠ્ઠી પંચવર્ષિય યોજનામાં પાંચ વર્ષ દરમ્યાન દરેક રાજ્યમાંથી અનુસૂચિત જાતિની ૫૦% વસ્તીને વિકાસ કાર્યક્રમમાં આવરી લઇને તેમને ગરીબી રેખાથી ઉપર લાવવા પ્રયત્ન કરવો. અને રાજ્યના બજેટમાં ૭% રકમ અનુસૂચિત જાતિઓ માટે અલગ કાઢીને ખર્ચવી તેવું ઠરાવવાથી ૧૯૭૧ની વસતિ ગણતરી મુજબ રાજ્યની અનુસૂચિત જાતિની કુલ વસતિ ૧૮.૨૫ લાખ હતી તેના ૫૦% વસતિને ગરીબી રેખા ઉપર લઇ જવા માટે રાજ્યની અનુસૂચિત જાતિની વસતિવાળા ગામો પૈકી જે ગામોમાં અનુસૂચિત જાતિની ૨૫૦ કે તેથી વધુ વસતિ છે તેવા ગામોની કુલ વસતિ ૫૦ ટકા જેટલી થાય છે.
૧૪૧૧ ગામોને પાંચ વર્ષમાં એટલેકે સને ૧૯૮૦-૮૧ થી ૧૯૮૪-૮૫ દરમ્યાન આવરી લેવાનું તથા દરેક જીલ્લામાં ૨૫૦ કે તેથી વધુ વસતિ ધરાવતા ગામોમાં રહેતા અનુસૂચિત જાતિના કુંટુબોની આર્થિક, સામાજિક માહિતી એકત્ર કરવાનું વિચારવામાં આવ્યુ આવા દર વર્ષે ૨૦ ટકા ગામો પસંદ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આમ ૧૪૧૧ ગામોમાંથી સને ૧૯૮૦-૮૧માં ૨૮૫ ગામો, સને ૧૯૮૧-૮૨માં ૩૧ ગામો, સને ૧૯૮૨-૮૩ માં ૪૩૮ ગામો, સને ૧૯૮૩-૮૪માં ૩૭ ગામો, અને સને ૧૯૮૪-૮૫માં ૫ ગામો મોજણી માટે પસંદ કરવામાં આવ્યા હતા. આ મોજણીનું કામ ગુજરાત વિધાપીઠ સંચાલિત આદિજાતિ સંશોધન અને તાલીમ કેન્દ્ર દ્વારા કરવાંમાં આવ્યું હતુ.
સને ૨૦૦૧ની વસતિ ગણતરી મુજબ રાજ્યની ૫.૦૭ કરોડની કુલ વસતિમાં અનુસૂચિત જાતિની વસતિનું વિશિષ્ટ લક્ષણ એ છે કે, રાજ્યના પૂર્વ વિભાગમાં આવેલા ૮ જીલ્લાઓમાં કેન્દ્રીત થયેલ આદિજાતિ વસતિથી ઉલટુ છે અનુસૂચિત જાતિની વસતિ રાજ્યના બધા જ જીલ્લાઓમાં મોટા પ્રમાણમાં પથરાયેલ છે. પરંતુ અનુસૂચિત જાતિની વસતિના છુટા છવાયા સ્વરૂપને લીધે આદિજાતિ વિકાસની પેટર્ન અપનાવવી અનુકૂળ પડતી નથી. તેથી અનુસૂચિત જાતિ પેટા યોજનામાં કુટુંબલક્ષી યોજનાઓનું તત્વ વિશેષ પ્રમાણમાં રહેવાનું.
અનુસૂચિત જાતિ પેટા યોજનાઓ માટેની વહીવટી વ્યવસ્થા
કેન્દ્ર સરકારમાં અનુસૂચિત જાતિ પેટા યોજનાની બધી રાજ્ય સરકારો અને કેન્દ્રીય મંત્રાલય અનુસૂચિત જાતિની વસતિને તેનો લાભ મળે તે રીતે તૈયાર કરીને તેનો અમલ કરે તે સુનિશ્ચિત કરવા માટે કલ્યાણ મંત્રાલયને મધ્યવર્તી મંત્રાલય તરીકે નામાભિધાન કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યમાં આ કામગીરી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગને સોપવામાં આવી છે. દરેક વિભાગે પંચવર્ષિય અને વાર્ષિક યોજનાના ભાગરૂપે અનુસૂચિત જાતિ પેટા યોજનાનું ઘડતર કરી અમલમાં મુકવાની છે. અને આમ દરેક વિભાગો અનુસૂચિત જાતિ પેટા યોજનાને યોગ્ય રીતે તૈયાર કરી વ્યવસ્થિત રીતે અમલીકરણ કરે તે માટે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે દેખરેખ રાખવાની છે.
અનુસૂચિત જાતિ પેટા યોજનાના અસરકારક અમલીકરણ માટે રાજય સરકારે નીચે મુજબ પગલાં લીધેલ છે.